
ભારત-પાકિસ્તાન તણાવના લીધે રાજ્યમાં હાઇ એલર્ટ હોવા છતાં GPSC પરીક્ષા યથાવત રહેશે. GPSC ચેરમેન હસમુખ પટેલે સ્પષ્ટ કર્યું છે કે 11 મે 2025ના રોજ યોજાનાર વર્ગ 2 માટેની પરીક્ષા રદ્દ કરાઈ નથી.
હાલમાં દેશભરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધતા ગુજરાતમાં પણ હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવા સંજોગોમાં ઘણા ઉમેદવારો GPSC પરીક્ષા અંગે મૂંઝવણમાં મુકાયેલા હતા કે પરીક્ષા લેવાશે કે રદ કરવામાં આવશે. પરંતુ GPSCના ચેરમેન હસમુખ પટેલે સ્પષ્ટતા કરી દીધી છે કે આવતીકાલે એટલે કે 11 મે 2025, રવિવારના રોજ યોજાનાર મદદનીશ પર્યાવરણ ઇજનેર વર્ગ-2 ની પરીક્ષા યથાવત રહેશે.
GPSC દ્વારા આ માહિતી સોશિયલ મીડિયા એકાઉન્ટ X (ટ્વિટર) પર જાહેર કરી છે. હસમુખ પટેલે જણાવ્યું કે પરીક્ષા પહેલા અને પછી તમામ સુરક્ષા પગલાં લેવામાં આવશે. પરીક્ષા પૂર્ણ થયા પછી, ઉમેદવારોને હાજરી સહિતની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ બહાર જવા દેવામાં આવશે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનાર આવતી કાલની પરીક્ષા યથાવત છે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) May 10, 2025
તંત્ર દ્વારા પરીક્ષા માટે રાજ્યના 405 કેન્દ્રો પર વ્યવસ્થાઓ સંપૂર્ણ થઈ ગઈ છે. GPSCના અધિકારીઓ દ્વારા સ્પષ્ટ જણાવાયું છે કે પરીક્ષા અંગે કોઈપણ નવી સૂચના આવશે તો તે વેબસાઇટ પર મૂકવામાં આવશે. એટલે કે દરેક ઉમેદવાર માટે જરૂરી છે કે તેઓ GPSCની ઓફિશિયલ વેબસાઇટ gpsc.gujarat.gov.in પર સતત નજર રાખે.
જિલ્લા સ્તરે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે પરીક્ષા દરમિયાન કોઇ અશાંતિ ન સર્જાય તેની સંપૂર્ણ ખાતરી રાખે. તેથી ઉમેદવારોએ ભય વિના પરીક્ષામાં ભાગ લેવા જઈ શકે છે. પરીક્ષા રદ્દ થશે કે નહીં એ અંગેની અફવાઓથી દૂર રહેવું જરૂરી છે. GPSCનો આ નિર્ણય દર્શાવે છે કે સરકાર દ્વારા અભ્યાસ માટે ગંભીરતા અપાઈ રહી છે અને દરેક ઉમેદવારના હિત માટે યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.