
પાકિસ્તાન સાથેની તંગ સ્થિતિને લઈ ગુજરાત સરકારે તમામ પોલીસ કર્મચારીઓની રજા રદ્દ કરી, તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશ આપ્યો છે. સરહદી રાજ્યોમાં ચેકિંગ પણ કડક કરાયું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલી તણાવભરી સ્થિતિને લઈને ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. પાકિસ્તાન તરફથી કોઇ પણ પ્રકારની છુપેલ હરકત શક્ય હોય તેવું માનવામાં આવી રહ્યું છે, જેના પગલે ગુજરાતના તમામ પોલીસ કર્મચારીઓની રજા તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા અધિકૃત પરિપત્રમાં તમામ અધિકારી અને જવાનોને પોતાની ફરજ પર તત્કાલ હાજર રહેવા આદેશ આપાયો છે.
ગુજરાતનું મહત્વ આ પરિસ્થિતિમાં વિશેષ છે કારણકે આ રાજ્ય માત્ર પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે એટલું જ નહીં, પણ વડાપ્રધાન અને ગૃહમંત્રીએ ગુજરાતના વતની હોવાના કારણે પણ ભારત માટે સુરક્ષા દ્રષ્ટિએ અગત્યનું બની જાય છે. હાલમાં પાકિસ્તાનમાં ભારત દ્વારા કરાયેલા એર સ્ટ્રાઇક પછી ભારે અફરા-તફરીનો માહોલ છે. એવી શક્યતા છે કે તે પોતાના સ્વભાવ મુજબ કાયરતાપૂર્ણ પ્રતિક્રિયા આપવાનો પ્રયાસ કરે.
સરકાર દ્વારા તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે મહત્ત્વના સ્થળોએ પેટ્રોલિંગ વધારવામાં આવે અને બોર્ડર વિસ્તારની ચોકસાઈથી તપાસ કરવામાં આવે. જિલ્લાઓમાં ચેકિંગની કામગીરી પણ વધુ કડક કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા હાઇ અલર્ટ પર છે અને સમગ્ર પોલીસ તંત્રને સતર્ક રાખવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.
સાવચેતીના ભાગરૂપે અર્ધલશ્કરી દળો અને ડિફેન્સ વિભાગ પણ સજ્જ સ્થિતિમાં છે. લોકોમાં ભયનો માહોલ ન ફેલાય તે માટે સરકારી સ્તરે ખાસ સંદેશાવ્યવહાર વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવી રહ્યો છે.