
શિક્ષકો માટે સરકારનો મોટો નિર્ણય શાળાઓમાં ફરજ બજાવતા મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો કરાયા જાહેર.
ગુજરાત રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા મુખ્ય શિક્ષકો માટે સરકાર દ્વારા બદલીના નવા નિયમો જાહેર કરાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ જાહેરાતની માહિતી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
છેલ્લા ઘણા સમયથી HTAT મુખ્ય શિક્ષકો તેમના પડતર પ્રશ્નોને લઈ આંદોલન કરી રહ્યા હતા. ચાર દિવસ પહેલા HTAT મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો ગાંધીનગરમાં ભેગા થઈને સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું.
આંદોલન કરતા શિક્ષકોએ જણાવ્યું હતું કે HTAT કેડર અસ્તિત્વમાં આવ્યા બાદ 12 વર્ષ થઈ ગયા છે, પરંતુ તેમના બદલાના નિયમો હજુ સુધી બન્યા નથી. શિક્ષકોની માંગ હતી કે સરકાર જલ્દીથી આ નિયમો જાહેર કરે અને બાલવાટિકાથી 8મું ધોરણ સુધીની શાળામાં 150 વિદ્યાર્થીઓ હોય તો ત્યાં એક HTAT મુખ્ય શિક્ષક નિયુક્ત કરવામાં આવે.
શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે શિક્ષકોને આંદોલન રોકવાની અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે બદલીના નિયમો બનાવવાની પ્રક્રિયા છેલ્લી તબક્કામાં છે અને ટૂંક સમયમાં તેને જાહેર કરવામાં આવશે.
ગુજરાત સરકારે આ નિર્ણય સાથે શિક્ષકોને ગુરુપૂર્ણિમાની ભેટ આપી છે, જેનાથી શાળાઓમાં શિક્ષણ વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને શિક્ષકોના પડતર પ્રશ્નોનો ઉકેલ આવશે.