
ડાયાભાઈએ 1983 થી લઈ 2012 સુધી અલગ અલગ સીરામીકમાં ભરાઈ અને ચેકીંગ કામ કર્યું. 2012 બાદ તબીયત ધીમે ધીમે બગડતી ચાલી. ધીમે ધીમે આરોગ્ય એટલું કથળ્યું કે કામ જ કરી ન શકે. જુદી જુદી હોસ્પીટલના ચક્કર ચાલતા રહ્યા. પણ કોઈ તબીબે પાકું નીદાન કર્યું નહી. અંતે રાજકોટ શ્વાસ હોસ્પીટલ દ્વારા ડાયાભાઈ અને એમના પરીવારને ખબર પડી કે સીલીકોસીસ છે.
તબીબની સલાહને કારણે નહી પણ શરીર જ ચાલતું ન હોવાને કારણે ડાયાભાઈને 2012 કામ મુકી દેવાની ફરજ પડી. વારંવાર દાખલ કરવા પડતા. 4 દિવસ આઈ.સી.યુ માં રહ્યા અંતે 60 વર્ષની ઉંમરે તારીખ 23/04/2024ના રોજ સવારે 5 વાગ્યે મોરબી સીવીલમાં ડાયાભાઈ કહેરભાઈ ધંધુકીયાએ છેલ્લા શ્વાસ લીધા.
આમાં અચરજની વાત તો એ છે કે 1983 લઈ 2012ના ગાળામાં 29 વર્ષ સુધી કામ કર્યું છતાં જ્યારે એમની પાસે કોઈ કારખાનામાં કામ કરતાં તેનું આઈ કાર્ડ કે પગાર પાવતી કે પી એફ કે ઇ એસ આઇ નંબર એવું કશું જ ન હતું, કામ કર્યાનો જો કોઈ પુરાવો હતો તો તે હતાં એમના સીલીકા ભરેલાં ફેફસાં!
ઈ. એસ. આઈ કપાતું હોત તો એમના પરીવારને પેન્શન મળી શકત.
એપ્રીલ મહીનામાં પહેલાં કરશનભાઈ તારીખ 11/04/2024 ના રોજ અને તે પછી ડાયાભાઈ જતાં એક જ મહીનામાં સીલીકોસીસથી મોરબીમાં આ બીજું મોત નોંધાયું..
News Source: Press Note - PTRC (PEOPLES TRAINING & RESEARCH CENTER)