
ટંકારા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે 24 માર્ચે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી. ટંકારાના 14 ગ્રામ પંચાયતને ટીબી મુક્ત જાહેર કરાઇ. જાણો સંપૂર્ણ વિગત.
ટંકારા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે 24 માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવી. આ ખાસ દિવસ નિમિત્તે તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે જણાવ્યું કે, સરકાર દ્વારા લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. ખાસ કરીને ટીબી (ક્ષય રોગ) ના નિદાન અને સારવાર માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.
સરકારે ટીબીના દર્દીઓની સંભાળ માટે પણ મહત્વના પગલાં લીધા છે. નીક્ષય પોષણ યોજના હેઠળ દર્દીઓને આપવામાં આવતી રકમમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સ્થાનિક દાતાઓ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને પોષણયુક્ત આહાર માટે ન્યુટ્રિશન કિટનું વિતરણ પણ કરવામાં આવે છે. આ પહેલથી દર્દીઓના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે.
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં વર્ષ 2024માં કુલ 45 ગ્રામ પંચાયતોમાંથી 14 ગ્રામ પંચાયતોએ ધારા ધોરણ મુજબ વેરિફિકેશન પૂર્ણ કરી ટીબી મુક્ત જાહેર થઈ છે. આ ટીબી મુક્ત ગામોના સરપંચોને કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેમને સરકાર દ્વારા નિર્ધારિત ગાંધીજીની પ્રતિમા તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચાર્મિબેન ભાવિનભાઈ સેજપાલ, લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. સૃષ્ટિબેન ભોરણીયા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેશભાઈ કે. પટેલ અને ટીબી સુપરવાઈઝર પ્રતીક દેવમુરારી સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન તાલુકા હેલ્થ ઓફિસના સ્ટાફ વર્ષાબેન ગોસ્વામી, લક્ષ્મણભાઈ ચાવડા, અક્ષય ગોસ્વામી અને કાજલબેન મહેતાએ સફળતાપૂર્વક કર્યું હતું.