
ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભારતની એર સ્ટ્રાઈક પર મોટી પ્રતિક્રિયા આપી છે. અમિત શાહે જણાવ્યું કે દેશના સુરક્ષા દળોએ પહેલગામ હુમલાનો યોગ્ય બદલો લીધો છે. દેશભરમાં તેની પ્રશંસા થઈ રહી છે.
ઓપરેશન સિંદૂરના સફળ અમલ બાદ સમગ્ર દેશમાં ખુશીની લહેર જોવા મળી છે. પીઓકે અને પાકિસ્તાનના અનેક આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલાથી આતંકવાદીઓની કમર તોડીને ભારતે પહેલગામના નિર્દોષ શહીદોના મોતનો યથાવ્યથ જવાબ આપ્યો છે. ભારતીય સેનાની આ કાર્યવાહી પર હવે રાજકીય સ્તરે પણ પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એર સ્ટ્રાઈક અંગે પોતાની પહેલી મોટી પ્રતિક્રિયા આપી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
અમિત શાહે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે, "મને આપણા સુરક્ષા દળો પર ગર્વ છે. પહેલગામમાં આપણા નિર્દોષ ભાઈઓની ઘાતકી હત્યાનો જડબાતોડ જવાબ છે ઓપરેશન સિંદૂર. મોદી સરકાર ભારત અને તેના નાગરિકો પર કરવામાં આવેલા દરેક હુમલાનો જવાબ જડબાતોડ રીતે આપવાની પ્રતિબદ્ધતા ધરાવે છે. ભારત આતંકવાદના મૂળિયા ઉખેડી નાંખવા માટે પણ એટલું જ પ્રતિબદ્ધ છે." શાહના આ નિવેદનથી સરકારના નિશ્ચિત અને પ્રબળ વલણની પુષ્ટિ થાય છે.
માત્ર શાહ જ નહીં, વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ એક કડક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, "દુનિયાએ હવે આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલેરન્સ રાખવો પડશે." હુમલાની વિગતો અંગે તરત જ જયશંકરે અમેરિકન નેશનલ સિક્યુરિટી એડવાઈઝર સાથે વાત કરીને સમગ્ર પરિસ્થિતિની માહિતી આપી હતી.
ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેના, એરફોર્સ અને નેઈવીનો સંયુક્ત પ્રયાસ રહ્યો હતો. રાત્રે 1:30 વાગ્યે શરૂ થયેલ આ ઓપરેશન હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત 9 આતંકી ઠેકાણાઓને નિશાન બનાવીને 90 જેટલા આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ કામગીરી એટલી ગુપ્ત રીતે અમલમાં આવી હતી કે પાકિસ્તાનને કોઈ ખબરી પણ પડી નહોતી. પાકિસ્તાનના તંત્રમાં ખળભળાટ મચાવનાર આ હુમલાથી ભારતે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે હવે આતંકવાદીઓને સહન કરવામાં નહીં આવે.