
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે BCCIએ IPL 2025ને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ધરમશાલામાં ચાલી રહેલી મેચ અધવચ્ચે રદ કરવામાં આવી છે અને બાકીની તમામ મેચો સ્થગિત કરાઇ છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે BCCIએ IPL 2025ને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ધરમશાલામાં ચાલી રહેલી મેચ અધવચ્ચે રદ કરવામાં આવી છે અને બાકીની તમામ મેચો સ્થગિત કરાઇ છે. BCCI હવે વિદેશી ખેલાડીઓને તેમના ઘરે સુરક્ષિત રીતે પહોંચાડવા પર ધ્યાન આપશે. નવી તારીખો અંગે ટૂંક સમયમાં જાહેરાત થશે. આ નિર્ણય IPLના ઇતિહાસમાં મોટા વળાંકરૂપ સાબિત થઈ શકે છે. તમામ મેચો હવે પરિસ્થિતિ સામાન્ય થયા બાદ જ યોજાશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના પગલે BCCIએ ઇમર્જન્સી સ્થિતિમાં મોટો નિર્ણય લીધો છે. ધરમશાલામાં ગઈકાલે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ચાલી રહેલી IPL મેચને તાત્કાલિક અધવચ્ચે સ્થગિત કરવામાં આવી હતી. સુરક્ષાની દ્રષ્ટિએ દર્શકોને સ્ટેડિયમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તમામ વ્યવસ્થાઓને સુરક્ષિત બનાવવામાં આવી હતી. આ પછી આજે સવારે BCCIએ સ્પષ્ટ રીતે જાહેર કર્યું કે IPL 2025ની તમામ બાકી રહેલી મેચો હાલ માટે રદ કરવામાં આવી છે. એટલે કે આજથી IPLની કોઈ પણ મેચ યોજાશે નહીં. BCCIની પહેલી પ્રાથમિકતા વિદેશી ખેલાડીઓને સુરક્ષિત રીતે તેમના ઘેર પહોંચાડવી છે. ભારતના કટોકટી સંજોગોમાં લેવાયેલો આ નિર્ણય, ક્રિકેટના ઇતિહાસમાં નોંધપાત્ર બનાવ બની શકે છે.
હાલની પરિસ્થિતિમાં IPL 2025ની નવી તારીખો અંગે કોઇ સ્પષ્ટતા આપવામાં આવી નથી. BCCIએ ફક્ત એટલુ જણાવ્યું છે કે પરિસ્થિતિ સામાન્ય થતાં જ ટુર્નામેન્ટ ફરી શરૂ કરવામાં આવશે. બીજી બાજુ ચર્ચા એ પણ ચાલી રહી છે કે BCCI કોઈ વિકલ્પ રૂપે સ્ટેડિયમમાં દર્શકો વગર એટલે કે ક્લોઝ્ડ ડોર મેચ યોજી શકે છે. જો આવું થાય તો દરેક ટીમ માટે નવી તૈયારીઓ અને સમયપત્રક ઘડવાનું એક મોટું પડકાર બની શકે છે. ગત વર્ષે પણ IPL બે ભાગમાં યોજાયુ હતું કારણ કે લોકસભાની ચૂંટણીના કારણે સમયમર્યાદા હતી. હવે જો હાલની પરિસ્થિતિ વધુ લાંબી ચાલે છે તો IPL ફરીથી બે તબક્કામાં રમાવાની શક્યતા પણ ઊભી થઈ છે.
આ વર્ષે IPL અને PSL બંને લગભગ એકસાથે શરૂ થયા છે. PSL 11 એપ્રિલે શરૂ થયું જ્યારે IPL 22 માર્ચે. આ સ્થિતિમાં ઘણા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ જેમ કે ડેવિડ વોર્નર, કેન વિલિયમસન અને ડેરિલ મિશેલે PSL તરફ વળવાનો નિર્ણય લીધો કારણ કે તેઓ IPLની મેગા હરાજીમાં વેચાયા નહોતા. હવે જયારે IPL અટકી ગયો છે ત્યારે આવનારા દિવસોમાં ખેલાડીઓની ઉપલબ્ધતા અને તેમના કોન્ટ્રાક્ટને લઈ નવી ચર્ચાઓ થવાની શક્યતા છે. BCCIએ કહ્યું છે કે તેઓ તમામ ખેલાડીઓને સુરક્ષિત રીતે તેમના ઘર સુધી પહોંચાડશે અને ત્યારબાદ જ આગામી પળે આગળ વધશે.
IPL 2025માં અત્યાર સુધી 58 મેચો યોજાઈ ગઈ હતી અને હવે બાકી રહેલી તમામ 16 મેચો સ્થગિત થઈ ગઈ છે. જેમાં ધર્મશાલા, મુંબઈ, દિલ્હી, અમદાવાદ, કોલકાતા અને હૈદરાબાદ જેવા શહેરોમાં યોજાનારી મેચોનો સમાવેશ થાય છે. આજથી કોઈ પણ મેચ નહીં રમાય. જો નવી તારીખો જાહેર થાય છે તો નવી ટીમ રણનીતિ, શેડ્યૂલ અને ખેલાડીઓના વ્યવસ્થાપન માટે BCCIને ફરીથી સંપૂર્ણ આયોજન કરવું પડશે. IPL જેવો મોટો ટુર્નામેન્ટ બંધ કરવો એક ગંભીર નિર્ણય છે અને એ દર્શાવે છે કે ક્રિકેટસંસ્થાઓ રાષ્ટ્રની સુરક્ષા અને લોકહિતને પહેલ આપતી હોય છે.